કોરોના પછી શું?
હાલ કોરોના કાળ ચાલે છે. કોરોના કાળ પહલાં પછીની જિંદગી સંપૂર્ણ બદલાઇ જવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ શેકના બદલે નમસ્તે, માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ, દુકાનો પર અંતર રાખીને કરાયેલી કતારો.. વિગેરે, વિગેરે..
માત્ર આટલું જ નહિ, આ સિવાય વ્યક્તિની વિચારવાની વૃત્તિ અને સમજવાની શક્તિ પણ બદલાઇ જશે. જન્મ અને મૃત્યું ઉપરાંત જિંદગી જીવતી વખતે પણ પ્રેમ કે નફરત, વહાલ કે અણગમો બતાવવાની રીતભાત પણ બદલાઇ જશે. જરૂરીયાત અને સગવડ વચ્ચેની ભૂંસાઇ ગયેલી રેખા ફરીથી તણાઇ જશે. જરૂરીયાત સિવાયના કામો માટે મમત કરી રહેલા લોકોને દેશના માનવજાતના દ્રોહી ગણવાનો રિવાજ બની જશે. જાણે પથ્થરયુગની રિવર્સ એન્ટ્રી થઇ રહી હોય તેવો માહોલ સર્જાશે.
દવા અને દવાખાના મંદિરોનો દરજ્જો મેળવી લેશે. મંદિરો કે પૂજા અર્ચના કરનારા જો પરમ શ્રદ્ધાળું કે અસીમ ગરજાઉ નહિ હોય તો પૂજા વિધી કે ધર્મ કર્મ કરવાની ક્રિયાવિધીઓ લગભગ ઓછી થઇ જશે. લોકોને ગરદ ગાંઠે.. વાળી વાત વધુ યાદ આવશે અને તેઓનો બેંકિંગ સિસ્ટમ પરનો ભરોસો ઘટી જશે. સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરનારાની સંખ્યા અને વોલ્યુમ વધી જશે. જમીનો અને શેરોમાં રોકાણ કરનારા ઘટી જશે. લોકોની પૈસા કમાવાની વૃત્તિમાં સ્વાર્થીપણું વધી જશે. થોડા સમય માટે આવશ્યક ચીજવસ્તુઓના કાળાબજાર થશે. લોકોની વૃત્તિ કાબૂમાં રાખવા માટે સરકારી નિયમનો વધારીને તેના પર વોચ રાખવાનું પણ વધી જશે. લોકોને કાયદાનો ડર બતાવવા માટે કેટલાક અણગમતા અને અસ્વીકાર્ય હોય તેવા કાયદા બનાવીને તેના પર અમલ કરવો પડશે.
નવરાશનો ઉપયોગ લોકોને ઇમ્પ્રેશ કરવામાં થશે. ઘરે બેઠા કામ કરનારા લોકોની ચાંદી જ ચાંદી થઇ જશે. કામ માટે બહાર જનારા લોકોને બીજા દરજ્જાના ગણવામાં આવશે. નોકરીના વ્હાઇટ કોલર, બ્લૂ કોલર અને યલો કોલરની વ્યાખ્યા પણ બદલાઇ જશે.
બિમારી શબ્દ પહેલાં અનુકંપા અને દયાનો કારક મનાતો હતો તેને બદલે હવે બિમારી શબ્દ ડર અને તિરસ્કારનો કારક બની જશે. હૂંફ, લાગણી, પ્રેમ, સેક્સ વિગેર બાબતોને દર્શાવવા માટે એક્શનના બદલે જેસ્ચર જ બતાવવાનો રિવાજ બની જશે. ઇમોજી અને સ્માઇલી જે ડિઝીટલ પ્લેટફોર્મ પર કરી રહ્યા છે તેજ હવે રિયાલિટીના પ્લેટફોર્મ પર માણસો કરશે.
શ્વાસની કિંમત સમજાશે. લોકો કસરત અને ડાયેટ માટે વધુ સજાગ બની જશે. તેમના જીવનમાં એન્જોય કરતાં સર્વાઇવ શબ્દનું વધુ મહત્વ બની જશે. તેઓ એક બીજા પર અને ઇશ્વર પર ભરોંસો ઓછો કરશે. ખર્ચ વધારે કરશે. સંગ્રહખોરી અને જૂઠ્ઠું બોલનારા લોકોનું પ્રમાણ પણ વધી જશે. સમજાદારી લક્ઝરી ગણાશે. ઉતાવળ કરનારાને વ્યાજબી ગણાશે. ધીરજ રાખનારા નબળા અથવા કાયર ગણાશે.
સરકારોને વધુ સત્તા મળી જશે. વિરોધપક્ષોને ડિપ્રેશન થઇ જશે. લોકો માત્ર સત્તાની વાત જ માનશે અને સત્તાનો જ સાથ આપશે. વૈજ્ઞાનિક અને અર્થશાસ્ત્રીઓ પાયા વગરના લક્ષ્યો તરફ મીટ માંડીને પોતાની શોધ કે રિસર્ચને દોરશે. કોરોના પહેલાં જે વસ્તુનું મહત્વ જ નહોતું તેવી વસ્તુઓ હવે જીવન જરૂરીયાતની ચીજ ગણાવા લાગશે. જ્યારે જે જરૂરી ગણાતું હતું તે હવે સાવ બિન જરૂરી બની જશે.
પોસ્ટ કોરોના સિનારીયોમાં સૌથી મોટી વાત એ બનવાની છે કે લોકો ધાર્મિક કર્મકાંડ અને રિવાજોને જડમૂળથી બદલી નાંખશે. ગોડ મેન કે ગુરુનું સ્થાન માત્ર ગાઇડ જ લેશે. જે પ્રોફેશનલ હશે. ગાઇડ પ્રત્યે અહોભાવ કે આદર નહિ હોય પણ તેને ફોલો કરીને ઉપયોગ કરી લેવાની સમજ બંને પક્ષે હશે. જેના કારણે કોઇ નવી કે ખોટી પરંપરા નહી સર્જાય. જન્મ પછી અને મૃત્યું પછી થતી કર્મ કાંડની ક્રિયાઓ પર બ્રેક વાગી જશે.