2017નું રાજકીય આર્થિક અને ખેતીલક્ષી ભવિષ્યફળ
2017નું નવું વર્ષ નોટબંધીના કારણે વધુ ચર્ચામાં રહેશે. આર્થિક, સામાજિક, રાજકીય, વ્યક્તિગત અને સામૂહિક તબક્કે આ વર્ષમાં મોટા ફેરફારો અને ચઢાવ ઉતાર જોવા મળશે. આ વર્ષના પ્રારંભે જ શનિ વૃશ્ચિક રાશીમાં છે. 26મી જાન્યુઆરીએ તે વૃશ્ચિક રાશી છોડીને ધન રાશીમાં પ્રવેશ કરનાર છે. તો વળી વર્ષના મધ્યમાં 21મી જૂને શનિ વક્રી ગતિથી ફરીથી વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે અને ત્યાં 26મી ઓક્ટોબર સુધી ભ્રમણ કરશે. 26 ઓક્ટોબરે તે પુનઃધન રાશીમાં પ્રવેશ કરશે. તો રાહુ વર્ષના પ્રારંભે સિંહ રાશીમાં મઘા નક્ષત્રમાં છે. તે છેક 18મી ઓગસ્ટે કર્ક રાશીમાં આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વર્ષના અંત સુધી તે કર્ક રાશીમાં જ રહેનાર છે. કેતું તેવી જ રીતે વર્ષના પ્રારંભે કુંભ રાશીમાં શતતારકા નક્ષત્રમાં છે. તે 14માં એપ્રિલે ધનિષ્ઠા નક્ષત્રમાં ગતિ કરશે અને 18મી ઓગસ્ટે કેતું કુંભમાંથી વક્રી ગતિએ મકર રાશીમાં પ્રવેશ કરશે જ્યાં તે ધનિષ્ઠા નક્ષત્રમાં જ રહેશે અને છેક 22મી ડિસેમ્બરે કેતુ ધનિષ્ઠામાંથી શ્રવણ નક્ષત્રમાં ગતિ કરશે. ગુરુ વર્ષના પ્રારંભે કન્યા રાશીમાં ચિત્રા નક્ષત્રમાં છે. 14મી એપ્રિલે ગુરુ વક્રી ગતિથી પુનઃ હસ્ત નક્ષત્રમાં જશે. ત્યારબાદ માર્ગી થઇને 4થી ઓગસ્ટે ફરીથી ચિત્રા નક્ષત્રમાં જશે. ગુરુ છેક 12મી સપ્ટેમ્બરે રાશી બદલીને કન્યામાંથી તુલામાં ગતિ કરશે. જ્યાં તે અનુક્રમે 14મી ઓક્ટોબરે સ્વાતિ અને 16મી ડિસેમ્બરે વિશાખા નક્ષત્રમાં ગતિ કરશે. વર્ષના અંતે ગુરુ તુલા રાશીમાં જ રહે છે. વર્ષના આરંભે સૂર્ય ધન રાશીમાં, ચંદ્ર મકર રાશીમાં મંગળ કુંભ રાશીમાં, બુધ ધન રાશીમાં સૂર્યની સાથે અને શુક્ર કુંભ રાશીમાં મંગળ અને કેતુંની છે. જ્યારે લાંબા સમય સુધી એક રાશીમાં રહેનારા યુરેનસ મીનમાં, નેપ્ચ્યુન કુંભમાં અને પ્લુટો ધન રાશીમાં છે.
રાજકીય ભવિષ્યઃ
રાજકીય રીતે જોઇએ તો વર્ષના પ્રારંભની કુંડળીમાં ધન લગ્ન આવે છે. આ રાશીનો સ્વામી ગુરુ હાલ કન્યા રાશીમાં ગતિ કરે છે. જે વર્ષના અંત ભાગ સુધી ત્યાં જ રહેવાનો છે. જે વર્ષારંભના સૂર્યોદય કાળની કુંડળીમાં 10મા ભાવમાં છે. શનિ બારમે અને 26મી જૂનથી લગ્ન ભાવમાં આવનાર છે. પાછો વક્રી ગતિથી 12માં ભાવમાં જનાર છે. જે બતાવે છે કે દેશની આર્થિક સ્થિતી નોટબંધીના નિર્ણયના પગલે સુધવાની જે આશા છે તે પુરેપુરી સિદ્ધ થાય તેમ નથી. નરેન્ર્દ મોદીજીની કુંડળી મુજબ તેમને પનોતીનો બીજો તબક્કો પુરો થશે અને ત્રીજો તબક્કો શરૂ થશે. જ્યારે ભારત દેશની કુંડળી મુજબ શનિ આઠમા અને ગુરુ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઇ રહ્યા છે.આ શુભ સંકેત નથી. વર્ષારંભ થનારી યુપી અને પંજાબની ચૂંટણીમાં ભાજપ જે રીતે આશા રાખીને બેઠો છે તે રીતે પરિણામ ન આવે અને યુપીમાં મુલાયમ અને અખિલેશની સમાજવાદી સરકારને જ ફાયદો થાય તેવા ગ્રહયોગો છે.જ્યારે પંજાબમાં ભાજપ અને તેના સાથી પક્ષોને ફાયદો દેખાય તેમ બની શકે છે. તો વળી આર્થિક સુધારાની અસરો દેશના આમ આદમી સુધી પહોંચે ખરી પણ તેના કારણે થવો જોઇતો ફાયદો હજુ એક-બે વર્ષ સુધી ન થાય તેના કારણે આમ આદમી જે 50 દિવસ ધીરજ રાખીને બેઠો છે તેની ધીરજ ખૂંટી જાય અને તેને ભોગવવી પડતી હાડમારીના મૂળમાં નોટબંધીનો જ નિર્ણય છે તેમ માનીને તે સરકારથી વિમુખ થતો જાય તેમ બની શકે છે. તો વળી વિરોધપક્ષોના નબળા ફોર્મ પણ ચાલુ રહે. ભાજપ અને નરેન્દ્ર મોદીના કામકાજમાંથી ભૂલો શોધવાના પ્રયાસોમાં તેમને પણ જોઇએ તેવી સફળતા ન મળે. દક્ષિણમાં કોઇ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા વધુ એક નેતાને ત્યાંની પ્રજા પોતાના હ્રદયમાં બેસાડે તેમ બને. તો વળી દિલ્હીમાં મોદી સરકાર ઝાઝો ફાયદો ન થાય છતાં તેની પકડ મજબૂત બનતી રહે. પડોશી દેશો સાથેના સબંધો અને વિદેશ નિતીના મુદ્દે પણ સફળતા મળવાને બદલે હજુ રાહ જોવાની જરૂર પડે. ભારત અને અમેરિકાના સંબંધોમાં ટ્રમ્પના આગમન બાદ શરૂઆતમાં દોસ્તી વધી રહી હોય તેમ લાગે પણ પાછળથી રાબેતા મુજબ અમેરિકા પાકિસ્તાન સાથેના વ્યૂહાત્મક સબંધો વધારે અને ભારતને વધુ એક વખત અમેરિકાથી નિરાશ થવું પડે તેમ ગ્રહયોગો કહી રહ્યા છે. ભાજપમાં જ કેટલાક મોટા ગજાના કદાવર નેતાનું કોઇ કૌભાંડ બહાર આવે અને તેમને રાજીનામું આપવાની ફરજ પડે તેમ પણ જૂનથી ઓક્ટોબર વચ્ચેના ગાળમાં શક્ય બની શકે તેમ છે. તો વળી કોઇ મોટા રાજનેતાનું ચાલુ કાર્યકાળ દરમ્યાન મૃત્યું થાય તેવી પણ શક્યતા દેખાઇ રહી છે.
આર્થિક ભવિષ્યઃ
આર્થિક રીતે ભારતનો જીડીપી વધવાને બદલે ઘટશે. સામાન્ય લોકોને વ્યવહારમાં અને સોદામાં ઘણી મુશ્કેલીઓ આવે. ભારતમાં વિદેશી ફંડ અને રોકાણ જરૂર વધશે પણ તેના કારણે ભારતનો વિકાસ માત્ર શહરોમાં જ થઇ રહ્યો છે તેમ દેખાશે. નવા ઉદ્યોગો અને રોજગારીના પ્રશ્ને લોકોની તકલીફોનું કોઇ સમાધાન થતું નહી દેખાય. વિદેશમાં જઇને સ્થાયી થવાનો નવયુવાનોનો ક્રેઝ એક તરફ વધશે અને બીજી તરફ અમેરિકા હાઇલી સ્ક્લીલ્ડ વિદ્યાર્થોઓ સિવાય અન્ય લોકો માટે લાલ જાજમ નહી બિછાવે. તેના કારણે વિદેશ જનારા વિદ્યાર્થીઓની હતાશા પણ વધશે. નોટબંધીના નિર્ણયના કારણે આવેલા નાણાંથી સરકારી યોજનાઓ તો ઘણી શરૂ થશે પણ તેનો લાભ લેવા માટે અને સાચા અમલ માટે દેશ, પ્રજા અન સરકારને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. સેન્સેક્સ અને મોંઘવારી, આ બે એવા પરિબળો છે કે તેના કારણે સામાન્ય લોકોને આપણો દેશ આગળ જઇ રહ્યો છે કે પાછળ તે વગર વિચાર્યે ખબર પડી જશે. સરકાર કાળાબજાર અને ભ્રષ્ટાચારને ડામવાના પ્રયાસોમાં અપ્રિય થઇ પડે અને સામાન્ય જન લાઇનોમાં ઊભા રહેવાની અને બિનજરૂરી કડાકૂટથી કંટાળશે. ટેક્સમાં છૂટ અપાશે, બજેટમાં કેટલીય યોજનાઓની જાહેરાત થશે છતાં સામાન્ય માનવી તેનાથી આકર્ષાવાના બદલે કંટાળશે. માલેતૂજારો અને કેટલાક વગવાળા લોકોને ફાયદો થતો હતો તેમ જ ચાલુ રહેવાના કેટલાક એવા બનાવો પ્રકાશમાં આવશે કે જેના કારણે લોકોને પોતાની આર્થિક હાલત અને સરકારની નિતીઓ ખોટી લાગવામાં માંડશે. અભ્યાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને વાહન-વ્યવહાર, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, સ્ટીલ, એવિએશન, ટ્રાન્સપોર્ટ, પાવરના ક્ષેત્રોમાં પ્રગતિ દેખાશે.જ્યારે રિયલ એસ્ટેટ, ઓઇલ-ગેસ, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ખાણીપીણીના ક્ષેત્રોમાં મંદીનો માહોલ દેખાશે.
ખેતીનું ભવિષ્યઃ
ભારત ખેતી પ્રધાન દેશ રહ્યો છે. ખેતી અને તેના કારણે થતા શ્રમ અને રોજગાર હજુ પણ ગ્રામીણ પ્રજામાં ભારે મહત્વનાં રહ્યાં છે. આ વર્ષે ગુરુ કન્યા રાશીમાં હોવાથી ખેડુતો માટે કપરાં ચઢાણ તો રહેશે.આ વર્ષે વરસાદ માફકસરનો રહેશે.પાછોતરો વરસાદ વધારે પડશે. બિનખોરાકી ઉત્પાદનોમાં જેવાં કે કપાસ, તમાકુંમાં ખાસ્સો ફાયદો જોવા મળશે. તેલીબિયાંના પાકમાં પણ ફાયદો દેખાશે .જ્યારે અનાજ ઘઉં, ચોખા,તુવર સહિતના પાકોમાં ખેડુતોને નુકસાની થાય તેમ દેખાય છે. શાકભાજીના ઉત્પાદનોમાં રોજિંદી આવક જળવાયેલી રહેશે. જો કે વીજળી અને પાણી જેવી ખેતી માટે પાયાની જરૂરીયાતો ઉપરાંત નબળા ચોમાસાનો માર પણ આ વર્ષે સહન કરવો પડે તેવી સંભાવના છે.શનિ પણ ગુરુના ઘરમાં રહેવાનો હોવાના કારણે કેટલાક પાકના રોગ થાય અને કુદરતી આપત્તિઓના કારણે પણ ખેતી પર વિપરીત અસર પડે તેવી શક્યતા છે.
ઉપસંહાર
એકંદરે કેટલાક મોટા ફેરફારોના કારણે આવતા આફ્ટર શોક્સ જેવી હાલતમાં 2017નું વર્ષ પસાર થશે. આશાઓ ઠગારી નહિ નીવડે પણ તેના પુરા થવા માટે વધુ લાંબી મુદત પડે તેવી હાલત આ વર્ષમાં સર્જાવાની છે. સામાન્ય લોકોની સુપર પાવર ભારત બનાવવાની આશા પણ આ વર્ષ પુરી તો શું શરૂ પણ થાય તેવો અણસાર નથી.