પંજાબની ચૂંટણી અને નવજ્યોતસિંગ સિધ્ધુનો રોલ, ગ્રહોની દૃષ્ટિએ
નવજ્યોત સિંહ સિદ્ધુનો જન્મ 20મી ઓક્ટોબર 1963ના રોજ પતિયાલા પંજાબ ખાતે બપોરે 12 કલાકે થયો હતો. સિક્સરના બાદશાહ તરીકે એન્ટ્રી મારીને તેમણે તેમની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતમાં ક્રિકેટ રસિયાઓના દિલ જીતી લીધા હતા. ઓપનર તરીકે તેમણે એક જવાબદાર બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી. ક્રિકેટર તરીકેની 15થી 16 વર્ષની કારકિર્દીમાં શરૂઆતમાં ધીમી શરૂઆત કર્યા બાદ સિદ્ધુએ તેમની સ્થિતી ઇન્ડીયન ક્રિકેટ ટીમમાં નક્કી કરી લીધી હતી. તેમની ક્રિકેટ કેરીયર પર ગ્રહોની દૃષ્ટિએ વિચાર કરીએ તો તેમની કુંડળીમાં ધન લગ્ન આવે છે. જેનો સ્વામી ગુરુ છે. ગુરુ ચોથા સ્થાનમાં જ મીન રાશીમાં સ્વગ્રહી છે. સિદ્ધુની કુંડળીની એક વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. જેમાં ગુરુના કારણે તેમને ઘણો લાભ મળ્યો છે. જ્યારે 11માં સ્થાનામાં નીચનો સૂર્ય તેમના જીવનમાં આવેલી મુશ્કેલીઓનું કારણ બન્યો છે. એક સમયે તેમના પર રોડ અકસ્માતનો કેસ ચાલ્યો અને તેઓ સુપ્રિમ કોર્ટ સુધી લડીને તેમાંથી નિર્દોષ સાબિત થયા ત્યાં સુધીનો તેમનો સમય તેમના માટે ઘણો મુશ્કેલી ભર્યો રહ્યો. તેમને રાજકારણમાં પણ આ અકસ્માતના કેસના કારણે લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. સરકારી કે કાયદાકીય ગૂંચવણના કારણમાં તુલા રાશીનો સૂર્ય મોટી ભૂમિકા ભજવે છે. બારમા સ્થાનમાં મંગળ અને ચંદ્રની યુતિ પણ આવા વિઘ્નોનું કારણ બને છે.
નવજ્યોતસિંગ સિદ્ધુની કુંડળીની હાલમાં થનારી પંજાબની ચૂંટણી અને રાજકારણી તરીકેની તેમની કારકિર્દીની ગ્રહોની દૃષ્ટિએ સમીક્ષા કરીએ તો તેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના ગ્રહોમાં તેમણે ભાજપમાં પ્રવેશ મેળવ્યો અને લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા તે તેમના ગુરુ અને શનિની સ્થિતીને આભારી છે. સ્વગ્રહી ગુરુ અને સ્વગ્રહી શનિના કારણે તેમનો લોકપ્રિયતાનો ગ્રાફ તેમના ક્ષેત્રમાં ખૂબ રહ્યો છે. ચોથા સ્થાનમાં ગુરુ તેમને રિજનેબલ વ્યક્તિ બનવાની સાથે સાથે અભ્યાસુ બનાવે છે. તેમનું વાણીનું સ્થાન પણ પાવરફૂલ બન્યું છે. જેમાં મકર રાશીમાં સ્વગ્રહી શનિ પડ્યો છે. આવા જાતકો શ્રોતાને પકડી રાખે તેવી વાકચાતુરી ધરાવતા હોય છે. જે સિદ્ધુના વ્યક્તિત્વમાં ઉડીને આંખે વળગે તેમ છે. હાલમાં તેમણે અવગણનાના પગલે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં પ્રવેશ લીધો છે.તેમની પત્ની પણ કોંગ્રેસમાં જોડાયા છે.ત્યારે જોવાનું એ છે કે કોંગ્રેસની ડૂબતી નૌકાને સિદ્ધ કેટલી ઉગારી શકશે.તો વળી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો સિદ્ધુનો નિર્ણય તેમને ખુદને કેટલો ફળશે.
હાલમાં સિદ્ધુના 12મા સ્થાનમાં શનિનું ભ્રમણ છે. તો વળી 10મા કર્મ સ્થાનમાં ગુરુનું ભ્રમણ થઇ રહ્યું છે. રાહુ ભાગ્ય સ્થાનમાં છે. બારમે રહેલો શનિ તો 26મી જાન્યુઆરીએ બદલાઇ જવાનો છે. જ્યારે પંજાબમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે સિદ્ધુની કુંડળીમાં જન્મ લગ્નમાં જ શનિ પસાર થઇ રહ્યો છે. આ યોગ સારો છે. તેના કારણે મર્યાદિત ક્ષેત્રમાં સિદ્ધુની લોકપ્રિયતાનો લાભ કોંગ્રેસને મળશે. પરંતું પંજાબમાં કોંગ્રેસ સત્તા પર આવે તેવી શક્યતા નહિવત હોવાની સિદ્ધુ માટે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય વ્યક્તિગત રીતે તેમને બહુ મોટો ફાયદો કરાવે તેમ નથી. ગ્રહોની દૃષ્ટિએ એવું ચોક્કસ કહી શકાય તેમ છે કે સિદ્ધુએ લીધેલો નિર્ણય રાજકીય રીતે સમજદારી ભર્યો ઓછો અને પોતાનો અહં સંતોષવા માટે વધુ છે. રાજકારણી તરીકે તેઓ કોંગ્રેસ કરતાં આપમાં જોડાયા હોત તો કદાચ તેમના માટે એ નિર્ણય વધારે ફાયદેમંદ સાબિત થઇ શકત. ભાગ્ય સ્થાનમાંથી પસાર થતા રાહુ અને બારમા સ્થાનમાં રહેલા શનિના કારણે એમ કહી શકાય કે સિદ્ધુએ ભાજપ છોડીને અન્ય પક્ષમાં જોડાવનો નિર્ણય મોડો પણ લીધો છે અને ખોટો પણ લીધો છે.
પંજાબની ચૂંટણીનું સુકાન કેપ્ટન અમરિન્દર સિંગ સંભાળી રહ્યા છે. હાલમાં અકાલીદળની બાદલ સરકાર પાંચ વર્ષથી પંજાબમાં સત્તા પર છે. અકાલીદળનું ભાજપ સાથે કેન્દ્રમાં જોડાણ છે. જો કે બાદલ સરકાર ભ્રષ્ટાચાર અને ડ્રગ્સના દૂષણના કારણે પંજાબમાં ખાસ્સી અપ્રિય બની ચૂકી છે. આપનું મર્યાદિત બળ પંજાબમાં જોર લગાવી રહ્યુ છે. જો કે આપ પાસે કેજરીવાલ સિવાય કોઇ બીજો મોટા ગજાનો નેતા હાલમાં પંજાબમાં કેમ્પેઇન કરે તેવો નથી. ડિમોનીટાઇઝેશન અને અન્ય કેન્દ્રમાં ભાજપ સરકારે લીધેલા નિર્ણયો જ ભાજપ માટે વિકાસનો મંત્ર બન્યો છે. ત્યારે સિદ્ધુના ભાજપ છોડીને કોંગ્રસમાં જોડાવાના કારણે ભાજપને નુકસાન થશે તે નક્કી છે. કોંગ્રેસને ફાયદો થશે તે પણ નક્કી છે. પણ આ નિર્ણય લેનારા વ્યકિત્ તરીકે નવજ્યોતસિંહને કોઇ મોટો લાભ થાય તેમ દેખાતું નથી.
સાતમાં સ્થાનમાં રહેલો રાહુ પત્નીનો કારક છે. રાહુના કારણે કદાચ કેન્દ્રની રાજનીતિમાં સિદ્ધુ ખુશ હોય છતાં પણ પંજાબના રાજકારણમાં હેલ્થ મિનિસ્ટર રહી ચૂકેલા તેમના પત્ની નવજ્યોત કૌરને અકાલીદળ સાથે પડેલા વાંધા પછી તેમનું ભાજપમાં રહેવું લગભગ મુશ્કેલ બની ચૂક્યું હતું. રાશી મુજબ સિદ્ધુની હાલમાં ચાલી રહેલી પનોતીનો બીજો તબક્કો પુરો થશે અને સાડાસાતીનો ત્રાજો તબક્કો શરૂ થશે. શનિ દેહ ભૂવનમાં આવશે. વળી નવમા સ્થાને રહેલો રાહુ પણ ભાગ્યના બળને અવરોધશે. તો વળી 10મા સ્થાનેથી પસાર થઇ રહેલો ગુરુ સ્થાનભ્રષ્ટ કરે તેમ છે. દશમું સ્થાન કર્મ સ્થાન છે. ગુરુનું આ સ્થાનમાંથી થઇ રહેલું ભ્રમણ પણ તેમના માટે અશુભ છે. ગુરુ છે ક સપ્ટેમ્બર મહિના સુધી દશમા સ્થાનમા રહેવાનો છે. રાહુ પણ નવમા સ્થાનમાં રહેવાનો છે. માત્ર શનિ સ્થાન પરિવર્તન કરવાનો છે. જે જન્મના શનિથી બારમા સ્થાને જવાનો છે. આ રીતે ગ્રહોનું ગણિત જોઇએ તો હાલમાં સિદ્ધુને ચૂંટણી સુધી સ્ટાર કેમ્પેઇનરનું બિરુદ મળી જાય. તેઓ કોંગ્રસનો પ્રચાર કરવામાં ભાજપને ભાંડવામાં અને બાદલની બાજી ઊંધી વાળવામાં સફળ થાય અને તેની ક્રેડિટ પણ તેમને મળે જો કે પંજાબમાં કોંગ્ર્સ જીતે અને સત્તા પર આવે તેવી શક્યતા ઘણી ઓછી છે. આથી સિદ્ધુની મહેનત હોવા છતાં, તેના કારણે કોંગ્રેસને ફાયદો થયો હોવા છતાં સિદ્ધુને સત્તા પ્રાપ્ત કરવામાં સફળતા મળે નહી.
એક વખત માની પણ લઇએ કે કોંગ્રેસ કોઇ જોડતોડ કરીને પણ પંજાબમાં સત્તા પર આવે તો પણ કોંગ્રેસનું પંજાબમાં સુકાન કેપ્ટન અમરિંદરસિંહ સંભાળી રહ્યા છે. તેમના અને સિદ્ધુ વચ્ચે મતભેદ હોવાની ચણભણ ચાલે છે. તે સાચી હોય કે નહિ તે પછીની વાત છે પણ સિદ્ધુને કોંગ્રસ પ્રવેશના ગણતરીના દિવસોમાં જ જો સત્તા સોંપવામાં આવે તે તાર્કિક વાત નથી. વળી આમ છતાં તેમ થાય તો પંજાબ કોંગ્રસમાં યાદવાસ્થળી થાય તેમ પણ બની શકે.
આમ ગ્રહોના યોગ જોતાં શનિની પનોતીના ત્રીજા તબક્કાનું ભ્રમણ, 10મે ગુરુ અને નવમે રાહુના કારણે સિદ્ધુ કોંગ્રેસમાં જોડાઇને કોંગ્રેસને ફાયદો ચોક્કસ કરાવશે પણ બદલામાં તેમને કોઇ આ ફેરફારના મીઠાં ફળ તાત્કાલિક ચાખવા મળે તેમ જણાતું નથી.